BLO કામગીરીમાં સુરત પાલિકા સ્ટાફ વ્યસ્ત, જન્મ મરણના દાખલા માટે લોકોને ફાંફા
સુરત સહિત સમગ્ર દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન(SIR) હેઠળ મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સુરત પાલિકા અને શિક્ષણ સમિતિના સ્ટાફને જોડી દેવામાં આવ્યો છે. જેના કારણે હાલ પાલિકા અને શિક્ષણ સમિતિમાં કામગીરી પર સીધી અસર પડી રહી છે. મતદાર યાદી માટે સ્ટાફ ફિલ્ડમાં અને નાગરિક સુવિધા કેન્દ્ર અને શાળા ખાલીખમ જોવા મળી રહ્યાં છે. પાલિકાનો સ્ટાફ BLOમાં જોડાયેલો હોવાથી લોકોને જન્મ મરણના દાખલા માટે ફાંફા પડી રહ્યાં છે અને શાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા કામગીરી પૂર ઝડપે ચાલતા પાલિકા સ્ટાફનો મોટો ભાગ હાલ ફિલ્ડમાં મોકલાયો છે. તેના કારણે પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં રોજબરોજ મળતી આવશ્યક સેવાઓ પર સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે. સુરત પાલિકાના જુદા જુદા વિસ્તારમાં 38 જેટલા નાગરિક સુવિધા કેન્દ્ર છે આ નાગરિક સુવિધા કેન્દ્રમાં 14 જાતની સુવિધા આપવામાં આવે છે પરંતુ હાલમાં મોટા ભાગનો નાગરિક સુવિધા કેન્દ્રનો સ્ટાફ મતદાર સુધારણા કાર્યક્રમમાં જોડાયેલા છે.
આ સ્ટાફ કામગીરીમાં જોડાયેલો હોય જન્મ મરણના દાખલા માટે લોકોને મુશ્કેલી નડી રહી છે. લોકો જન્મ કે મરણના દાખલા માટે પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં પહોંચે છે ત્યારે દાખલા લેવામાં અસુવિધા થઈ રહી છે. સ્ટાફ BLO કામગીરીમાં જોડાયેલો છે અને લોકો દાખલા માટે જાય છે ત્યારે સ્ટાફ મતદાર યાદી સુધારણા કાર્ક્રમ માટે ગયા છે તેથી દાખલા મળશે નહી તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે. જન્મ મરણના દાખલા મળતા ન હોવાથી લોકોને આગળની કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે.
સુરતના નાગરિક સુવિધા કેન્દ્ર જેવી જ હાલત શિક્ષણ સમિતિની શાળાની છે. મોટા ભાગના શિક્ષકો BLO કામગીરીમાં જોડાયેલા છે અને તેના કારણે વર્ગખંડમાં શિક્ષકોની અછત છે. એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યાં છે શિક્ષકો ફિલ્ડમાં છે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શિક્ષકોની રાહ જોઈ રહ્યાં છે. આમ મતદાર યાદી સુધારણા માટેના કાર્યક્રમના કારણે પાલિકા અને શિક્ષણ સમિતિનો વહિવટ ખોરવાઈ રહ્યો છે.
સ્ટાફ બીએલઓ કામગીરીમાં વેરો લેવા માટે પણ કર્મચારીઓ માંડ મળે છે
સુરત પાલિકાના અન્ય સ્ટાફ સાથે પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રનો સ્ટાફ BLO કામગીરીમાં જોડાયો છે તેના કારણે જન્મ મરણની કામગીરી તો ખોરંભે પડી છે તેની સાથે પાલિકાની આવક છે તેવા વેરાની કામગીરી પર પણ અસર જોવા મળી રહી છે. લોકો વેરો જમા કરાવવા જઈ રહ્યાં છે પરંતુ કર્મચારીઓ ન હોવાથી મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટના સ્ટાફ પાસે વેરા વસુલવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ અનેક જગ્યાએ કર્મચારીઓ ન હોવાથી વેરાની આવક પર પણ ફટકો પડી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.