Advertisement

40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, હજુ એક ગુમ, મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટ

40 કલાકે 4 મૃતદેહ મળ્યાં, હજુ એક ગુમ, મહીસાગર અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટ

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગુરૂવારે (ચોથી સપ્ટેમ્બર) અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા, તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના બની છે. પાણીનો પ્રવાહ એકાએક વધવાથી પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા હતા. ઘટનાના 40 કલાક બાદ પાંચ શ્રમિકોમાંથી ચાર શ્રમિકનો મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ એક વ્યક્તિની ફાયર ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આ દુર્ઘટનાને લઈને આજે (છઠ્ઠી સપ્ટેમ્બર) અજંતા હાઈડ્રો પાવર પ્લાન્ટની રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે મુલાકાત લીધી હતી.

ડૉ. કુબેર ડિંડોરએ ઘટનાસ્થળની મુલાકાત લીધી

મહીસાગર નદીમાં પાણી છોડાતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ચોથી સપ્ટેમ્બરના રોજ પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ડૂબ્યા હતા. આ ઘટનાના 40 કલાક બાદ વડોદરાની ફાયર ટીમ અને એન.ડી આર.એફની ટીમ દ્વારા ચાર મૃદેહ કાઢવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરએ ઘટનાસ્થળની મુલાકાત લઈ તંત્ર સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે મૃતક પરિવારને સાંત્વના આપી અને કામગીરી હજુ ઝડપી થાય તેવી સૂચના આપી હતી. બીજી તરફ અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ આર્થિક સહાય જાહેર કરી છે. જેમાં મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

ચાર વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા

નરેન્દ્રકુમાર સોલંકી - ગોધરા

શૈલેષકુમાર - દોલતપુરા

શૈલેષભાઈ માછી - દોલતપુરા

અરવિંદભાઈ ડામોર - આકલિયા

શું હતી સમગ્ર ઘટના?

મહીસાગર નદીમાં પાણી છોડાતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ચોથી સપ્ટેમ્બરના રોજ પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, 'બપોરે લગભગ 3 વાગ્યે અચાનક પ્લાન્ટની અંદર 200 ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે કોઈને સંભાળવાનો સમય જ ન મળ્યો. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓનો બચાવ થયો, પરંતુ બાકીના પાંચ કર્મચારીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા.'

ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. NDRFની ટીમ દ્વારા યુવકોની શોધખોળ ચાલી રહી છે, જ્યારે હાઈડ્રો પાવરમાં ભરાયેલા પાણીને પંપોથી ખાલી કરવા માટે પણ તંત્ર કામે લાગ્યું છે. જો કે, હજુ સુધી આ 4 યુવકોની ભાળ મળી નથી, જેના કારણે પરિવારજનોમાં ચિંતા અને નિરાશાનો માહોલ છે. ઉચ્ચ અધિકારીઓ સતત ખડેપગે રહીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

Advertisement