Advertisement

'શક્તિ' વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું

'શક્તિ' વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'શક્તિ' અંગે હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી હતી, જે મુજબ વાવાઝોડું આજે (6 ઓક્ટોબર) યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાત તરફ આવ્યા બાદ તે ધીમું પડી જશે અને તેની અસર નહિવત્ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' હવે નબળું પડી ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન તે લગભગ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ દક્ષિણ તરફ આગળ વધ્યું અને નબળું પડીને 'સાયક્લોનિક સ્ટોર્મ'માં પરિવર્તિત થયું છે. આજે  (6 ઓક્ટોબર) સવારે 0530 કલાકે આ ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર કેન્દ્રિત હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' હવે સામાન્ય 'ચક્રવાતી વાવાઝોડું' બની ગયું છે, જે રાહતના સમાચાર છે. આ સિસ્ટમ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. જોકે વાવાઝોડું નબળું પડ્યું છે, તેમ છતાં સમુદ્રમાં કરંટ અને તોફાની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે. તેથી, માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું 7 ઓક્ટોબર, બપોર સુધીમાં વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે, પરંતુ દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

વાવાઝોડું નબળું પડવા છતાં તેની આડકતરી અસરના ભાગરૂપે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 8 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી છે.રાજ્યના કેટલાક ભાગોમાં હળવા ઝાપટાની આગાહી છે.

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદી માહોલ

'શક્તિ' વાવાઝોડાની અસરના કારણે અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ચાંદખેડા, ગોતા, થલતેજ, વૈષ્ણદેવી, પ્રહ્લાદનગર, વેજલપુર, સરખેજ, એસ.જી. હાઇવે, સરસપુર, બાપુનગર, મેઘાણીનગર, મેમ્કો સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

સાયક્લોનિકનું 'શક્તિ' નામ કઈ રીતે પડ્યું?

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક 'શક્તિ'નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો અર્થ 'તાકાત' અથવા 'Power' થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી તે નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.

Advertisement