Advertisement

વડોદરા વન-ડે ટિકિટ સ્કેમ: અધિકૃત ભાવની તુલનામાં 50% મોંઘા વેચાણ, ફેન્સનો હક ખાડામાં!

વડોદરા વન-ડે ટિકિટ સ્કેમ: અધિકૃત ભાવની તુલનામાં 50% મોંઘા વેચાણ, ફેન્સનો હક ખાડામાં!

બી.સી.એ. સ્ટેડિયમમાં આગામી તા. 11 જાન્યુઆરીએ યોજાનારી ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે મેચની ટિકિટ વેચાણ પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો સાથે બી.સી.એ.ના એક સભ્ય દ્વારા બી.સી.એ.ના સચિવ, પ્રમુખ તથા સીઈઓને લેખિત રજૂઆત કરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, આ મેચની ટિકિટો અધિકૃત પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન વેચાણ માટે મુકવામાં આવી હતી. જોકે, મોટી સંખ્યામાં અથવા તો તમામ ટિકિટો ઓટોમેટેડ બોટ્સ અથવા તૃતીય પક્ષના ઓપરેટરો દ્વારા સિસ્ટમેટિક રીતે હડપ કરી લેવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. આ ટિકિટો હાલ વિદેશી ઓનલાઈન રિસેલિંગ પ્લેટફોર્મ પર અધિકૃત ભાવની તુલનામાં અંદાજે 50 ટકા જેટલી વધુ કિંમતે રિસેલ થઈ રહી છે, જેના કારણે સાચા ક્રિકેટ પ્રેમીઓ અધિકૃત માધ્યમથી ટિકિટ મેળવવામાં સંપૂર્ણપણે વંચિત રહ્યા છે. 

વધુમાં જણાવાયું છે કે, હાલની પરિસ્થિતિમાં અધિકૃત પ્લેટફોર્મ પર સોલ્ડ તરીકે દર્શાવાયેલી તમામ ટિકિટો કમ્પ્રોમાઈઝ થઈ ચૂકી હોવાનું માનવામાં આવે છે. વાસ્તવિક દર્શકો દ્વારા ખરીદાયેલી ટિકિટ અને બોટ્સ કે ગેરકાયદે રીતે મેળવાયેલી ટિકિટ વચ્ચે ભેદ કરવો અશક્ય છે. આ સંજોગોમાં અધિકૃત પ્લેટફોર્મ મારફતે વેચાયેલી તમામ ટિકિટો તાત્કાલિક રદ કરી, નવી ટિકિટ વિતરણ પ્રક્રિયામાં ફિઝિકલ કાઉન્ટર અથવા ઓળખપત્ર આધારિત વિતરણ જેવી પદ્ધતિ અપનાવવાની ભલામણ પણ થઈ છે. જેથી ક્રિકેટ પ્રેમીઓ સુધી અધિકૃત ભાવે પહોંચે. રજૂઆત સાથે રિસેલિંગ પ્લેટફોર્મ વીઆગોગો પર ચાલી રહેલા ગેરકાયદે ટિકિટ વેચાણના સ્ક્રીન શોટ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.

Advertisement