માગણીઓ નહીં સંતોષતા સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર
નડિયાદ : ખેડા જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોની પડતર માગણીઓ નહીં સંતોષતા આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેને લઇ ચલણ નહીં ભરવાનો અને વિતરણથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે. જેને લઇ લાભાર્થીઓને વિતરણ વ્યવસ્થા ખોરવાશે.
ખેડા જિલ્લામાં સસ્તા અનાજના દુકાનના સંચાલકોના એસોસિએશનના લાંબા સમયથી પડતર માગણીઓ નહીં સ્વિકારતા આજથી આંદોલન શરૂ કર્યું છે અને દુકાનદારો હડતાલ પાડી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, મુખ્ય માંગણીઓમાં માસિક કમિશન ૨૦,૦૦૦ રૂપિયાથી વધારીને ઓછામાં ઓછું ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા કરવું, દુકાનદારોને નિયમિત ખાતામાં કમિશન જમા કરવું, ૮૦ ટકા તદેદારી સમિતિના સભ્યોના અંગુઠાવાળો પરિપત્ર રદ કરવા સહિતની માગણીઓ કરવામાં આવી હતી. જોકે, સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે, વર્ષોથી આ માગણીઓ પર ચર્ચા થાય છે. પણ કોઇ નક્કર નિર્ણય લેવામાં આવતો નથી.
જેના પગલે રાશન ડીલરોએ જથ્થાના ચલણ નહીં ભરવા અને વિતરણ કરવાની પ્રક્રિયાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. લાભાર્થીઓને મુશ્કેલી ઉભી થશે. આ દુકાનદારોના પડતર પ્રશ્રો તાકીદે ઉકેલવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.