નવરાત્રિ પહેલા મેઘરાજાનું આગમન, ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં નવરાત્રિ વખતે વરસાદ પડશે કે કેમ તેને લઈને આયોજકો, ખેલૈયાઓના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (22 સપ્ટેમ્બર) મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જોકે, આ પછી પાંચ દિવસ વરસાદની સંભાવના નથી.
ખલૈયાઓની ચિંતા વધી
ગુજરાતમાં મેઘરાજાએ ખેલૈયાઓ અને આયોજકોના ધબકારા વધારી દીધા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સોમવારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
50 તાલુકામાં વરસાદ
દરમિયાન રવિવારે 50 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં ભરૂચના હાંસોટ, નવસારીમાં સૌથી વધુ 1.50 ઈંચ, નવસારીના ચીખલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જ્યાં અડધા ઈંચથી 1 ઈંચ વરસાદ નોંધાયો હોય તેમાં અમરેલીના જાફરાબાદ, ખેડા, આણંદના પેટલાદ, તાપીના વાલોદ, સુરતના માંગરોળનો સમાવેશ થાય છે.