પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળે ગત દસ મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતા તથા રેલવે સ્ટેશન- ટ્રેનમાં થૂંકતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી કુલ 25.72 કરોડનો દંડ વસૂલ્યો હતો. રેલવે વિભાગ અનુસાર આ આંકડો ગત વર્ષની સરખામણીએ 54 ટકા વઘુ છે! એટલું જ નહીં જાન્યુઆરીમાં તો દર કલાકે તંત્રએ આવા 43 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ટિકિટનું સઘન ચેકિંગ, દંડ તથા કડક નિયમ- કાનૂન અમલમાં હોવા છતાં રેલવે મુસાફરીના નિયમો ભંગ કરતાં લોકોનો આંકડો ઘટવાની જગ્યાએ વધી રહ્યો હોય તેવો તાલ છે.
અમદાવાદ રેલવે મંડળની લાલ આંખ: ₹25.72 કરોડનો દંડ વસૂલ્યો
પ્રાપ્ત માહિતી મુજબ, પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળે એપ્રિલ 2025થી જાન્યુઆરી 2026 સુધીમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. જેના અંતર્ગત ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતાં તથા થૂંકતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી કુલ રૂપિયા 25.72 કરોડ દંડ વસૂલવામાં આવ્યો હતો.
અમદાવાદ મંડળમાં દર કલાકે 43 લોકો નિયમ તોડતા ઝડપાયા
આંકડા પરથી કહીં શકાય છે કે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળને દરરોજ 8.57 લાખ રૂપિયાની દંડની આવક થાય છે. જ્યારે જાન્યુઆરી એક જ મહિનામાં આવા 32,330 લોકો પાસેથી 2.48 કરોડ દંડ ઉઘરાવાયો હતો! જેથી કહીં શકાય કે અમદાવાદ મંડળમાં દર કલાકે 43 વ્યક્તિ ટિકિટ વગર મુસાફરી કરતા, ગંદકી કરતાં તેમજ થૂંકતાં ઝડપાઈ છે.
બુધવારના રોજ અમરાપુર અરાવલી એક્સપ્રેસ, સાબરમતી- પાટણ મેમુ, સાબરમતી- મહેસાણા મેમુ, આગરા કેન્ટ સાબરમતી એક્સપ્રેસ સહિતની ટ્રેનમાં સઘન તપાસ કરાઈ હતી. જોકે તેમાં રેલવે કર્મીઓ દ્વારા આવા 144 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી.