જામનગર: 53 ફેક કાર્ડિયાક પ્રોસીજર, કાર્યવાહી શરૂ: ગેરરીતિ, ડૉક્ટર સસ્પેન્ડ!
ગુજરાતના આરોગ્ય વિભાગે સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરી છે. આ જ શ્રેણીમાં જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને 'પી.એમ.જે.એ.વાય.-મા' યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ અને ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક અસરથી યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
6 લાખ રૂપિયાનો દંડ અને 53 બિનજરૂરી પ્રોસીજર
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, 'જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવેલા કુલ 105 કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ જણાઇ આવતા હોસ્પિટલને 6 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને ચાર કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરિયાત હોવાનું ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું.'
બિનજરૂરી ઓપરેશન
રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા કુલ 262 કેસની તપાસ કરાવતા તેમાંથી 53 કેસમાં વિસંગતા જોવા મળી હતી, જેમાં જરૂર ન હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ડૉ. પાર્શ્વ વ્હોરા સસ્પેન્ડ
આ ગેરરીતિમાં સામેલ હોવાના કારણે ડૉક્ટર સામે પણ કડક પગલાં લેવાયા છે. આરોગ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, 'JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો. પાર્શ્વ વ્હોરા (G-28538) દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.'
માનવતા વિરોધી બેદરકારી સહન નહીં: આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, 'રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.'