ગંભીરાની વાત ભૂલાઇ શકે નહીં: જનોની ચેતવણી—તાત્કાલિક વ્યવસ્થા નહીં તો આંદોલન!
વડોદરા નજીક ગંભીરા બ્રિજની બનેલી દુર્ઘટના બાદ વડોદરા અને આણંદના છેવાડાના ગામોનો સંપર્ક તૂટી જતા અને તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.ગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે તેવી ત્રણ વર્ષ પહેલાં રજૂઆત અને દેખાવ કરનાર મુજપુરના જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર અને ગ્રામજનો આજે જિલ્લા કલેકટર ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા.
ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 22 જણાનો ભોગ લેનાર ગંભીરા બ્રિજની દુર્ઘટના માટે તંત્ર સીધેસીધું જવાબદાર છે. સરકાર માત્ર સંવેદનશીલતાની વાત કરે છે. પરંતુ બ્રિજ તૂટ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા હજારો યુવાન નોકરી માટે આવી શકતા નથી. ખેડૂતો શાકભાજી લાવી અને લઈ જઈ શકતા નથી. જ્યારે બીજા નાના મોટા ધંધા વળા વેપારીઓ પણ ધંધો કરવા આવી શકતા નથી. જેને કારણે હજારો પરિવારોને આર્થિક અસર થઈ રહી છે.
ગ્રામજનોએ કહ્યું હતું કે, જેવી રીતે મહાકુંભમાં કેપ્ચ્યુલ બ્રિજો બનાવ્યા હતા એવી રીતે મહીસાગરમાં પણ હંગામી બ્રિજ બનાવવા તેમજ વૈકલ્પિક માર્ગ ઉભો કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. અમે ગંભીરા બ્રિજની દુર્ઘટના તંત્રને ભુલવા દેશું નહીં. ટૂંક જ સમયમાં બ્રિજની બંને બાજુના ગ્રામજનો દ્વારા મોટેપાયે આંદોલન કરવામાં આવશે.