આણંદ શહેરમાં અડધી સ્ટ્રીટલાઇટો બંધ, નાગરિકો પરેશાન
આણંદ મનપા બન્યા બાદ મોટાભાગ વિભાગ ખાડે ગયા હોય તેમ કોઇ જ કામગીરી થતી નથી. જેને લઇને પ્રજાને ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે. આણંદ શહેરના મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં હોવાથી ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે.આણંદ શહેરના જીટોડિયો રોડ, નહેરૂબાગ વિસ્તાર ગંગદેવનગર સહિત અન્ય વિસ્તારોમાં 50 ટકા જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી નગરજનોને તસ્કરો ભય સતાવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરમાં જીટોડિયા રોડ અને સાંગોળપુરાની સોસાયટીને જોડતા માર્ગો પર મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. આ ઉપરાંત શહેરના ઉમાભવન ખાતે પણ છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ છે. જ્યારે નહેરૂ બાગ વિસ્તારમાં 20 થી વધુ સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટો દિવાળી પહેલાની બંધ હાલતમાં છે. તેમજ સમારકામ કર્યા બાદ એકાદ બે દિવસમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં ફેરવાઇ જાય છે.
શહેરના ગંગદેવનગર સમગ્ર વિસ્તારમાં 5 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ્ટ છવાઇ જાય છે.જેના પગલે રહીશોને રાત્રે સોસાયટીઓ ચોરીઓ થવાનો ભય સતાવી રહેલ હોવાનું રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું. આ અંગે મનપા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી