આણંદથી સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 માટે 450થી વધુ શિવભક્તો રવાના
સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના અવસરે આજરોજ આણંદ જિલ્લામાંથી 450થી વધુ શિવભક્ત નાગરિકો સોમનાથ મહાદેવના દર્શન માટે રવાના થયા હતા. આ ભવ્ય યાત્રા દરમિયાન આણંદ રેલવે સ્ટેશન પર ભક્તિપૂર્ણ અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો.
યાત્રાને પ્રોત્સાહન આપવા માટે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા જિલ્લાના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ આગેવાનો દ્વારા “જય સોમનાથ”ના નારા લગાવવામાં આવતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ યાત્રામાં યુવાઓ, વૃદ્ધો, મહિલાઓ સહિત તમામ વય જૂથના શિવભક્તો જોડાયા છે. યાત્રા દરમિયાન શાંતિ, શિસ્ત અને ભક્તિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રા દ્વારા સનાતન સંસ્કૃતિ, સ્વાભિમાન અને ધાર્મિક એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવના પાવન દર્શન કરીને ભક્તો સુખ, સમૃદ્ધિ અને સર્વ કલ્યાણની કામના કરશે.