આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિઃ સંતો-મહંતો સાથે આ રાજનેતાઓ આપી હાજરી
અમદાવાદમાં શુક્રવારે (27 જૂન) જગન્નાથ ભગવાન નગરયાત્રાએ નીકળશે. જોકે, આ પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ છે. આજે ત્રણેય ભાઈ-બહેનના આંખે પાટા બાંધવામાં આવ્યા જે અષાઠી બીજે યાત્રાના આગમન પહેલાં મંગળા આરતીના સમયે ખોલવામાં આવશે. પરંપરા અનુસાર, મોસાળમાંથી ઘરે આવેલા ત્રણેય ભાઈ બહેનને આંખ આવતા તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આ વિધિમાં સમિતિના ટ્રસ્ટી ઉપરાંત સંતો-મહંતોએ હાજરી આપી હતી.
નેત્રોત્સવ વિધિની પરંપરા
આ નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા. આ સિવાય મંદિરમાં ધ્વજા રોહણ કરવામાં આવ્યું. જેમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા. આ સિવાય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડા, 18 ભજન મંડળી ભાગ લેશે
27 જૂને યોજાનારી અમદાવાદની રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડા, 18 ભજન મંડળી ભાગ લેશે. આ ઉપરાંત 1200 ખલાસીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાશે. મંદિર તરફથી 30 હજાર કિલોનો પ્રસાદ વહેંચાશે. રથયાત્રામાં બે લાખ ઉપેરણાં સહિતનો પ્રસાદ રખાશે. હાલમાં ભગવાન તેમના મોસાળ સરસપુર ખાતેના રણછોડરાય મંદિરમાં બિરાજમાન છે. આજે ભગવાન નિજ મંદિર પધારશે અને ભગવાનની નેત્રોત્સવ વિધિ થશે.