Advertisement

પોતાના જ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, અરવલ્લી ગિરિમાળા વિવાદમાં મોટો આદેશ

પોતાના જ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, અરવલ્લી ગિરિમાળા વિવાદમાં મોટો આદેશ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે આ કેસની વધુ સુનાવણી 21 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરના રોજ અરવલ્લી પર્વતમાળા અને તેની ટેકરીઓની એક સમાન વ્યાખ્યાને માન્યતા આપી હતી. સાથોસાથ, નિષ્ણાતોનો અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી પટ્ટામાં ખનન માટેના નવા કોન્ટ્રાક્ટ (લીઝ) આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

શું છે સમગ્ર વિવાદ?

નોંધનીય છે કે ગયા મહિને જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને માન્યતા પણ આપી દીધી હતી. જે બાદ રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણપ્રેમીઓ દ્વારા અરવલ્લીને બચાવવા માટે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જોકે ભારે વિરોધ અને વિવાદ વધતાં જોઈ કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી કહ્યું હતું કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.

Advertisement