Advertisement

NCPમાં મોટી હલચલ: અજિત પવારના વારસદાર તરીકે સુનેત્રા પવારના નામ પર મહોર લાગવાની શક્યતા

NCPમાં મોટી હલચલ: અજિત પવારના વારસદાર તરીકે સુનેત્રા પવારના નામ પર મહોર લાગવાની શક્યતા

 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં સુનેત્રા પવારનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. પતિ અજિત પવારના આકસ્મિક નિધન બાદ, સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને હવે તેઓ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની તૈયારીમાં છે.


અજિત પવારના નિધન બાદ સત્તા પર પકડ


ગયા અઠવાડિયે એક પ્લેન ક્રેશમાં અજિત પવારનું અવસાન થયું હતું. તેના માત્ર ત્રણ દિવસ પછી સુનેત્રા પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. શરૂઆતમાં ચર્ચા હતી કે પ્રફુલ્લ પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે, પરંતુ હવે આ પદ પણ સુનેત્રા પવારને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.


પ્રફુલ્લ પટેલનું નિવેદન


પ્રફુલ્લ પટેલે પોતે અધ્યક્ષ બનવાની અટકળોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, "પક્ષના મોટાભાગના લોકો ઈચ્છે છે કે સુનેત્રા પવાર જ અધ્યક્ષ બને. અમે બધા મળીને તેમને પક્ષ મજબૂત કરવામાં મદદ કરીશું. અજિત પવાર માટે આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પોતે આ રેસમાં નથી અને ટૂંક સમયમાં પક્ષની બેઠક બોલાવીને સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.


સરકારે પણ વધાર્યું કદ: ગાર્ડિયન મિનિસ્ટર તરીકે નિમણૂક


મહારાષ્ટ્ર સરકારે પણ સુનેત્રા પવારની શક્તિમાં વધારો કર્યો છે. તેમને પુણે અને બીડ જિલ્લાના ગાર્ડિયન મિનિસ્ટર (પાલક મંત્રી) બનાવવામાં આવ્યા છે. અગાઉ આ બંને જિલ્લાઓની જવાબદારી અજિત પવાર પાસે હતી.


NCPના વિલય અંગે સ્પષ્ટતા


બંને NCP (અજિત પવાર અને શરદ પવાર જૂથ) ના વિલયની અટકળો પર પ્રફુલ્લ પટેલે પૂર્ણવિરામ મૂક્યું છે અને કેટલીક બાબતે સ્પષ્ટતા કરી. 


કોઈ સત્તાવાર પ્રસ્તાવ નહીં: પટેલે જણાવ્યું કે અજિત દાદાએ પણ અગાઉ કહ્યું હતું કે વિલય અંગે કોઈ પ્રસ્તાવ નથી.


ચૂંટણી જોડાણ: તેમની એકતા અત્યારે માત્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂરતી મર્યાદિત છે.


પરિવાર સાથે સંબંધ: તેમણે ઉમેર્યું કે, "મને NCP-SP (શરદ પવાર જૂથ) ના નેતાઓને મળવામાં કોઈ વાંધો નથી, કારણ કે અમે ક્યારેક એક જ પરિવારનો હિસ્સો હતા."







Advertisement