Advertisement

'હાઈવે-રસ્તાઓ પરથી રખડતા શ્વાન અને પશુઓ હટાવો..' સુપ્રીમ કોર્ટનો સરકારને કડક નિર્દેશ

'હાઈવે-રસ્તાઓ પરથી રખડતા શ્વાન અને પશુઓ હટાવો..' સુપ્રીમ કોર્ટનો સરકારને કડક નિર્દેશ

સુપ્રીમ કોર્ટે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને હાઈવે અને રસ્તાઓ સહિત સંસ્થાકીય સ્થળોએ રખડતા શ્વાન કરડવાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લીધી છે. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે આ અંગે મહત્ત્વના નિર્દેશો જાહેર કર્યા છે. બેન્ચે તમામ સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે કે તે સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલોના પરિસરમાં રખડતા શ્વાનને પ્રવેશતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લે, જેથી શ્વાનના હુમલા અટકાવી શકાય.

સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતુ કે, આવા સંસ્થાકીય પરિસરોમાંથી પકડાયેલા રખડતા શ્વાનને નિયુક્ત આશ્રયસ્થાનોમાં લઈ જવા જોઈએ. આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પકડાયેલા શ્વાનને તે જ વિસ્તારમાં પાછા છોડવા ન આવે. 

હાઈવે પરથી રખડતા પ્રાણીઓ દૂર કરવા આદેશ

બીજી તરફ સુપ્રીમ કોર્ટે હાઈવે અને એક્સપ્રેસવે પરથી ઢોર અને અન્ય રખડતા પ્રાણીઓને દૂર કરવા અને તેમને નિયુક્ત આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે અધિકારીઓને એવા હાઈવેના વિસ્તારોને ઓળખવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં રખડતા પ્રાણીઓ વારંવાર જોવા મળે છે.

શ્વાન કરડવાથી હડકવા ફેલાય છે

ઉલ્લેખનીય છે કે, ત્રીજી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે સંસ્થાકીય વિસ્તારોમાં શ્વાનના કરડવાના ગંભીર જોખમને અટકાવવા માટે નિર્દેશ આપવાની વાત કહી હતી, ખાસ કરીને જ્યાં સ્ટાફ રખડતા શ્વાનને ખવડાવે છે અને તેમને પરિસરમાં રહેવા માટે પ્રોત્સાહન આપે છે. કોર્ટ દિલ્હીમાં શ્વાન કરડવાથી હડકવા ફેલાય છે તે અંગેના મીડિયા અહેવાલ બાદ 28મી જુલાઈના રોજ શરૂ કરાયેલા સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે.

કોર્ટે રખડતા શ્વાનના આ મુદ્દાને માત્ર દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની સીમાઓથી આગળ વધારીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 13મી જાન્યુઆરી માટે નક્કી કરવામાં આવી છે.

Advertisement