"સિનિયર પાયલટે ફ્યુઅલની સ્વીચ બંધ કરી હતી," અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયાએ કર્યો મોટો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, બોઇંગ કંપનીની વિશ્વસનીયતા જોખમમાં છે. બોઇંગને આ સમગ્ર મામલાથી બચાવવા માટે, અમેરિકન મીડિયાએ એક નવા ષડયંત્રને રંગ આપવાનું શરૂ કર્યું છે, જેમાં પાયલટને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
2 જૂને અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં બોઇંગ પર દોષ આવવાના ડરથી, અમેરિકન મીડિયાએ સમગ્ર મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અમદાવાદ દુર્ઘટના બાદ, વિશ્વસનીયતા ગુમાવી રહેલા બોઇંગને બચાવવા માટે, અમેરિકન મીડિયાએ ભારતીય પાઇલટને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, અમેરિકન મીડિયાએ પણ AAIB રિપોર્ટને પોતાની રીતે રજૂ કરવાનું શરૂ કર્યું છે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના અહેવાલને ટાંકીને, અમેરિકન અખબાર 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' એ લખ્યું છે કે, કોકપીટ રેકોર્ડિંગમાં ખુલાસો થયો છે કે, ફ્લાઇટના કેપ્ટને પોતે વિમાનના એન્જિનનું ફ્યુઅલ બંધ કરી દીધું હતું. અમેરિકન મીડિયાના આ ખોટા દાવાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, AAIB રિપોર્ટમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે, કેપ્ટને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરી દીધી હતી.
12 જૂનના રોજ, એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન લંડન માટે ઉડાન ભરી હતી. અમદાવાદના રનવે પરથી વિમાન ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડોમાં એક વિચિત્ર ઘટના બની હતી. કોકપીટમાં હાજર સિનિયર કેપ્ટન સુમિત સભરવાલે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદરને પૂછ્યું કે, 'ફ્યુઅલ સ્વીચ 'કટઓફ' કેમ કરી?' આ પ્રશ્ન સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે પોતાના જવાબમાં કહ્યું કે, મેં તે નથી કર્યું.
જણાવી દઈએ કે, અમેરિકન મીડિયા જે પાઇલટ્સ પર અકસ્માત માટે દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમાં કેપ્ટન સભરવાલને 15,638 કલાક ઉડાનનો અનુભવ હતો, જ્યારે કુંદરને 3,403 કલાકનો અનુભવ હતો. આવી સ્થિતિમાં, બે પાઇલટ્સમાંથી કોઈ પણ આવી ભૂલ કરે તે શક્ય નથી.
12 જૂનના રોજ, ટેકઓફ પછી, ફ્યૂઅલ બંધ થઈ ગયું હતું, જેના પછી વિમાનના એન્જિનને પાવર મળ્યો નહીં. પરિણામ એ આવ્યું કે, વિમાન ઉડાન ભરતાની સાથે જ તેની ગતિ અને થ્રર્સ્ટ ઓછો મળ્યો અને પ્લેન નીચે આવવા લાગ્યું હતું. અકસ્માત પછીની તપાસમાં જાણવા મળ્યું કે, ક્રેશ સ્થળ પરના બંને ફ્યૂઅલ સ્વીચો 'કટ' સ્થિતિમાં હતા. એટલે કે, કદાચ પછીથી ફરીથી સ્વીચ ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, વિમાનના બંને એન્જિનમાં ફરીથી ફ્યુઅલ મળવાના સંકેતો હતા, પરંતુ ત્યાં સુધીમાં વિમાન ખૂબ જ નીચે આવી ગયું હતું અને ક્રેશ થઈ ગયું હતું. સીસીટીવી ફૂટેજમાં એવું પણ જોવા મળ્યું હતું કે, વિમાન ઉડાન ભરતાની સાથે જ, રેમ એર ટર્બાઇન નામનો બેકઅપ ઉર્જા સ્ત્રોત બહાર આવ્યો હતો. આ એક સંકેત હતો કે, વિમાનના એન્જિનમાં પાવર ખોવાઈ ગયો હતો.
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) એ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના કોઈને દોષી ઠેરવવું ખોટું છે. એસોસિએશને એક નિવેદનમાં કહ્યું છે કે, તપાસ પૂર્ણ થાય તે પહેલાં દોષારોપણ કરવું ઉતાવળ અને બેજવાબદારીભર્યું છે. આનાથી પાઇલટ્સની વ્યાવસાયિક છબી ખરાબ થાય છે અને તેમના પરિવારોને પણ નુકસાન થાય છે.