આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામમાં ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે ઉમદા કામગીરી કરી માનવતા મહેકાવી છે. ગતરોજ વહેલી સવારે ૦૫:૩૪ કલાકે કિંખલોડના રવિપુરા સીમ વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે દર્દીની ગંભીર સ્થિતિ જોઈ હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.
ઇએમટી અર્પિત કટારા અને પાયલોટ સમીરભાઈ વ્હોરાએ એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડમાં ઉભી રાખી, અમદાવાદ હેડ ઓફિસના ફિઝિશિયન ડૉ. કરણ સરનું હોટલાઈન દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું. જરૂરી સાધનોની સજ્જતા સાથે ટીમે સ્થળ પર જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. માતાએ સ્વસ્થ નવજાત શિશુને જન્મ આપ્યા બાદ માતા અને બાળકને વધુ સારવાર અર્થે સીએચસી (CHC) આંકલાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કિંખલોડ ૧૦૮ ટીમની આ સૂઝબૂઝ અને ત્વરિત કામગીરીને બિરદાવતા પરિવારજનોએ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.