વિદ્યાનગરની રાધે ઢોકળા હોટેલમાં ખોરાકમાં ભેળસેળ જણાતા સીલ
આણંદ : વિદ્યાનગરના રાધે ઢોકળા હોટેલ ખાતે મનપાની આરોગ્ય ટીમ તપાસ માટે ગઈ હતી. ત્યારે ખોરાકમાં ભેળસેળ, સ્વચ્છતાના અભાવના કારણે પાલિકાના આરોગ્ય વિભાગે રાધે ઢોકળા હોટેલને સીલ કરી છે.
કરમસદ આણંદ મનપાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સહિતની ટીમે વિદ્યાનગરના રાધે ઢોકળા ખાતે જરૂરી તપાસ હાથ ધરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ, ખોરાકમાં ભેળસેળ અને ગંદકી જોવા મળી હતી.
મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાધે ઢોકળા ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે તપાસ કરતા બિલકુલ હાઈજિન ન હોય અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોવાથી તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ૩૭૬ અંતર્ગત સીલ કરવામાં આવી છે.
અગાઉ રાધે ઢોકળા ખાતે તપાદ દરમિયાન સ્વચ્છતાનો અભાવ જોવા મળતા પાલિકાએ દંડ પણ ફટકાર્યો હતો. પાલિકા દ્વારા વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતા બાબતે આગામી દિવસોમાં તપાસ હાથ ધરાશે.