મુંબઈમાં ફરી મોટી દુર્ઘટના: લોકલ ટ્રેનમાંથી 8 યાત્રી પટકાયા, 5ના મોતની આશંકા
મુંબઈ થાણેમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેનમાંથી ઘણા મુસાફરો પાટા પર પડી ગયા હતા મળતી માહિતી મુજબ, 10 થી 12 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા છે. જેમાં 5 લોકોના મોત થયાની આશંકા છે. થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT) તરફ જતી લોકલ ટ્રેનમાંથી ઘણા મુસાફરો પાટા પર પડી ગયા હતા. અકસ્માત બાદ રેલવે અને જીઆરપીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ મામલે સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેનમાં વધારે પડતી ભીડ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.
ભીડના કારણે થયો અકસ્માત
મળતી માહિતી મુજબ, આશરે 8 થી 10 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા છે. જેમાં 5 લોકોના મોત થયાની આશંકા છે. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. જો કે આ ઘટના બાદ રેલવે સેવાઓ પ્રભાવિત થઈ છે.
મધ્ય રેલવેના CPRO સ્વપ્નિલ નીલાએ દુર્ઘટના અંગે આપી જાણકારી
આ મામલે રેલવે મધ્ય રેલવેના CPRO સ્વપ્નિલ નીલાએ મુંબઈ લોકલ ટ્રેન દુર્ઘટના અંગે જણાવ્યું કે, 'છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT)થી કસારા વચ્ચે ચાલતી લોકલ ટ્રેનના ગાર્ડે અમને જાણકારી આપી કે 8 લોકો ટ્રેનના પાટા પર પડી ગયા હતા, આ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે રેલવે દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી અમને લગભગ સવારે 9:30ની આસપાસ મળી હતી અને એમ્બ્યુલન્સ ઘટના 9:50 વાગ્યાની આસપાસ પહોંચી, હાલ બધા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.'
આ દુર્ઘટના વિષે રેલવે CPROએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે, 'આ લોકો લોકલ ટ્રેનના દરવાજા પર ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. વધુમાં હવે જે નવી લોકલા ટ્રેન આવશે તેના બધા એસી રેક છે, જેમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા છે. જેથી આવી ઘટના ટાળી શકાય.'