ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં: 41 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષમાં જશે
ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચ્યા બાદ તે સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બની જશે અને રાકેશ વર્માના 1984ના મિશન બાદ અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બની જશે.
ભારતના શુભાંશુ શુક્લા અને ત્રણ અન્ય અંતરિક્ષ યાત્રીઓને લઈને Axiom-4 રવાના થઈ ગયું છે. કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પલેક્સ 39 Aથી તેમને લઈને અંતરિક્ષ યાન રવાના થયું હતું. 28 કલાકની મુસાફરી બાદ આ અંતરિક્ષ ગુરુવારે સાંજે 04:30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ડૉક થવાની આશા છે.
શુભાંશુને Axiom-4 મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવશે
આ મિશન ભારત માટે ઐતિહાસિક છે, 1984માં રાકેશ શર્મા પછી આ બીજી વખત છે જ્યારે કોઈ ભારતીય અંતરિક્ષમાં જશે. આ મિશન હેઠળ 4 અંતરિક્ષયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવામાં આવશે, જેમાં શુભાંશુ શુક્લા પાઈલટ તરીકે કામ કરશે. તેમજ મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વ્હિટસન કરી રહ્યા છે, હંગેરીના અંતરિક્ષયાત્રી ટિબોર કપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નિવસ્કી મિશનના નિષ્ણાત છે. Axiom-4 બુધવારે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
Axiom મિશનમાં શુભાંશુ શુક્લાની ભૂમિકા શું હશે?
શુભાંશુ શુક્લાને આ મિશનમાં પાઇલટ તરીકે ISS મોકલવામાં આવી રહ્યા છે એટલે કે શુભાંશુ ડ્રેગન કેપ્સ્યુલનું માર્ગદર્શન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેના દ્વારા Axiom-4 મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવશે. અહીં, અંતરિક્ષયાનને ISS પર ડોક કરીને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી શુભાંશુના ખભા પર રહેશે.
આ ઉપરાંત, જો આ કેપ્સ્યુલને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો શુભાંશુ પાસે અંતરિક્ષયાનને નિયંત્રિત કરવાની અને કટોકટીના નિર્ણયો લેવાની જવાબદારી રહેશે. એવું કહી શકાય કે શુભાંશુ આ મિશનમાં સેકન્ડ-ઇન-કમાન્ડની ભૂમિકામાં રહેશે. પેગી વ્હિટસન પછી, તેઓ Axiom-4 ના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હશે.
આ મિશનનો હેતુ શું છે?
Axiom સ્પેસની વેબસાઇટ અનુસાર, Axiom-4 મિશન દરમિયાન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે. જેમાં 31 દેશોના વૈજ્ઞાનિકો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભારત અને નાસા વચ્ચે સંયુક્ત સહયોગમાં 12 પ્રયોગો કરવામાં આવશે, જેમાં 7 પ્રયોગ ભારત દ્વારા કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ 5 અમેરિકન સંશોધન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રયોગો મુખ્યત્વે જૈવિક વિજ્ઞાન, માનવ સ્વાસ્થ્ય, અંતરિક્ષ જીવન પ્રણાલીઓ અને મોર્ડન ટેકનોલોજી પર આધારિત હશે.
ભારત માટે પણ ખાસ છે આ મિશન
ભારત 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ મથક બનાવવાનું અને 2047 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતે તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શુભાંશુ શુક્લા ગગનયાન મિશનનો ભાગ ન હોવા છતાં, Axiom-4 માંથી મેળવેલ તેમનો અનુભવ ગગનયાન અવકાશયાત્રીઓની તાલીમ અને મિશન ડિઝાઇનમાં ઉપયોગી સાબિત થશે. આ મિશન ભારતને પોતાનું અંતરિક્ષ મથક બનાવવાની પણ મદદ કરશે.
વૈશ્વિક સ્તરે ભારતની શાખમાં વધારો કરશે
Axiom-4 મિશન ભારતની વૈશ્વિક વૈજ્ઞાનિક છબીને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવામાં મદદ કરશે. શુભાંશુ શુક્લા રાકેશ શર્મા પછી ભારતના બીજા અંતરિક્ષયાત્રી બનશે, જે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની સાતત્ય અને વિકાસને સ્પષ્ટપણે દર્શાવે છે.
અગાઉ એક્સિઓમ-4 મિશન લોન્ચિંગ ઘણી વખત ટળ્યું હતું
એક્સિઓમ મિશન હેઠળ લોન્ચિંગ 29 મેના રોજ થવાનું હતું, પરંતુ ફાલ્કન 9 રોકેટના બૂસ્ટરમાં અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના જૂના રશિયન મોડ્યુલમાં લીક્વીડ ઓક્સિજનનું લીકેજ જોવા મળ્યા બાદ, તેને પહેલા 8 જૂન, પછી 10 જૂન અને પછી 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારપછી લોન્ચિંગ યોજના ફરીથી 19 જૂન સુધી મુલતવી રાખવામાં આવી અને પછી લોન્ચિંગ તારીખ 22 જૂન નક્કી કરવામાં આવી. 22 જૂનના લોન્ચિંગને મુલતવી રાખવામાં આવ્યા બાદ, હવે તેને 25 જૂને લોન્ચ કરવામાં આવી રહ્યું છે.