Advertisement

નવું સરનામું, નવા સંકલ્પ: 'સેવાતીર્થ'માં પ્રથમ બેઠક અને કરોડોની યોજનાઓને લીલી ઝંડી.

નવું સરનામું, નવા સંકલ્પ: 'સેવાતીર્થ'માં પ્રથમ બેઠક અને કરોડોની યોજનાઓને લીલી ઝંડી.

નવી દિલ્હી : આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કાચા શણના ટેકાના ભાવમાં અગાઉની સીઝન કરતા ૨૭૫ રૂપિયાનો વધારો કર્યો છે. જેને પગલે વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રતિ ક્વિન્ટલનો ભાવ હાલ રૂ. ૫૯૨૫ નક્કી કરવામાં આવ્યો છે. ભારત વિશ્વમાં સૌથી વધુ શણનું ઉત્પાદન કરે છે. જેમાં પશ્ચિમ બંગાળ અને આસામ મોખરે છે જ્યાંના ખેડૂતોને આ ભાવ વધારાનો લાભ મળશે. એમએસપી ઉપરાંત અમદાવાદ મેટ્રો, શ્રીનગર એરપોર્ટ અને રેલવે પ્રોજેક્ટ્સ અંગે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ તમામ પ્રોજેક્ટ્સ પાછળ આશરે ૧૨,૨૩૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.


કેન્દ્રીય કેબિનેટ દ્વારા ત્રણ રેલવે પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે, જેની પાછળ આશરે ૯૦૭૨ કરોડ રૂપિયાના ખર્ચાનું અનુમાન છે, આ ત્રણ પ્રોજેક્ટ્સમાં ગોંડીયા-જબલપુર સેક્શન અને પુનારખ-કીઉલ તેમજ ગમહારી-ચંડીલ સેક્શન વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં કુલ આઠ રાજ્યો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે તૈયાર થઇ ગયા બાદ ભારતીય રેલવેના નેટવર્કમાં ૩૦૭ કિમીનો ઉમેરો થશે. મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ ૫૪૦૭ ગામોની કનેક્ટિવિટી વધારશે અને ૯૮ લાખ લોકોને ફાયદો થશે તેવો દાવો સરકારે કર્યો છે. 


આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ દ્વારા શ્રીનગરમાં નવા ઇન્ટીગ્રેટેડ એરપોર્ટ ટર્મિનલનું નિર્માણ કાર્ય રૂપિયા ૧૬૬૭ કરોડ રૂપિયામાં કરાશે, જ્યારે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-૨બી માટે રૂ. ૧૦૬૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેને પગલે અમદાવાદ મેટ્રો રેલનો વિસ્તાર વધારાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં નવા પીએમઓ સેવા તીર્થમાં આ પ્રથમ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ મીટિંગ અને આ બિલ્ડિંગ (સેવા તીર્થ) નવા ભારતના પુનર્નિર્માણનું સીધુ ઉદાહરણ છે. અન્ય એક મોટો નિર્ણય પાવરગ્રિડ સાથે જોડાયેલો છે. કેન્દ્રએ સરકારી કંપની પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં મોટા નાણાકીય અધિકારો આપ્યા છે, હવે પાવરગ્રિડ પોતાની તમામ સબ્સિડિયરી કંપનીમાં પહેલા કરતા વધુ રૂપિયાનું રોકાણ કરી શકશે. પહેલા આ લિમિટ ૫૦૦૦ કરોડ રૂપિયા હતી જે વધારીને હવે ૭૫૦૦ કરોડ રૂપિયા પ્રતિ કંપની કરવામાં આવી છે.


Advertisement