Advertisement

ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, પણ બસ સ્ટેશનમાં ભક્તો અટવાયા: એસટી બસો પડી ઓછી!

ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, પણ બસ સ્ટેશનમાં ભક્તો અટવાયા: એસટી બસો પડી ઓછી!


ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે મહા સુદ પૂર્ણિમાને લઇ પાંચ લાખથી વધુ હરિભક્તો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. જેને લઇ વડોદરા સુરત અમદાવાદ નડિયાદ મહેમદાવાદ તરફ જાતિ બસોની અછત જોવા મળી હતી. જો કે તંત્ર દ્વારા પૂર્ણિમાને લઈ 35 બસો એક્સ્ટ્રા મૂકવામાં આવી હતી. તેમ છતાં પણ બસ મથકમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.


યાત્રાધામ ડાકોર ખાતે મહાસુદ પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ હરિભક્તો ઠાકોરજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. ત્યારે દર્શન કરીને પરત ફરી રહેલા ભક્તોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.


જેમાં ડાકોર બસ સ્ટેશનમાં બસોની અછત હોવાના કારણે 3,000 થી વધુ મુસાફરો બપોરના સમયે બેસી રહ્યા હતા. જોકે એસટી વિભાગ દ્વારા 35 બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવી હતી. તેમ છતાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાને લઈ અમદાવાદ વડોદરા સુરત નડિયાદ મહેમદાવાદ જતા ભક્તોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.


આ સાથે ભક્તોની ભારે અવર-જવર હોવાને લઈ બસની ક્ષમતા કરતા પણ વધારે મુસાફરો ભરી દેવામાં આવ્યા હતા. ત્યારે પૂર્ણિમાને લઈ ડાકોર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે સ્પેશિયલ બસો વધુ મૂકવામાં આવે તેવી ભક્તો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

Advertisement