અર્બન ગુજરાત દ્વારા પાણીની સમસ્યા અંગે પ્રકાશિત અહેવાલ બાદ મહિસા અને ધેધીપુરા ગામોના લોકોને ત્રણ વર્ષથી સતાવતી પાણીની સમસ્યાનો અંત આવવાની આશા જાગી છે. અહેવાલની અસરરૂપે વાસ્મો (WASMO) અને પાણી પુરવઠા વિભાગની અધિકારી ટીમ મહિસા અને ધેધીપુરા ગામોમાં સર્વે કામગીરી માટે પહોંચી હતી.
મહિસા ગામમાં આવેલી નવી પાણીની ટાંકી હાલ જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. આ બાબતે વાસ્મો વિભાગ દ્વારા ટાંકીનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. ફિટનેસ ટેસ્ટ બાદ પાણીની ટાંકી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સાથે જ મહિસા ગામને રોજિંદું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અન્ય લાઇનમાં જોડાણ આપવાની કાર્યવાહી હાથ ધરાશે. હાલ મહિસા ગામમાં ત્રણ દિવસે એક વખત જ પાણી મળતું હોવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
આ તરફ ધેધીપુરા ગામમાં નવીનગરી વિસ્તાર માટે લોકફાળો એકત્ર કરી નવી પાઇપલાઇન નાખવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષોથી ધેધીપુરાના રહીશો કેનાલનું પાણી પીવા માટે મજબૂર છે. ગ્રામજનોએ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક અસરકારક કામગીરી કરે તેવી માંગ ઉઠાવી છે, જેથી લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.