Advertisement

કાંતિ અમૃતિયા વિધાનસભાથી નિકળ્યા, ગોપાલ ઇટાલિયા ફરક્યા નહી

કાંતિ અમૃતિયા વિધાનસભાથી નિકળ્યા, ગોપાલ ઇટાલિયા ફરક્યા નહી

કાંતિ અમૃતિયા વિધાનસભાથી નિકળ્યા, ગોપાલ ઇટાલિયા ફરક્યા નહી

ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા. અંતે રાજીનામાના નાટકનો અંત થયો હતો. આજનો દિવસ ગુજરાતના રાજકારણ માટે શરમજનક ગણી શકાય. કારણ કે ઘણા દિવસોથી ચેલેન્જ વોર ચાલી રહ્યું હોવા છતાં અંતે નેતાઓ પાણીમાં બેસી ગયા હતા. કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી. ત્યારે હવે વગર ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગોપાલ ઇટાલિયાના રાજીનામાનો સવાલ જ નથી:ઇસુદાન ગઢવીચેલેન્જ વોર વચ્ચે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 'હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઇથી કામ કરી રહ્યા છે અને ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઇના રાજીનામાની વાત જ થઇ ન હતી, ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઇ વિસાવદરની જનતા માટે મજબૂતાઇથી કામ કરશે. ગોપાલભાઇ ઇટાલિયા કોઇપણ સંજોગોમાં રાજીનામું આપશે નહી.

.તો જ કાંતિ અમૃતિયા રાજીનામું આપશે તો બીજી તરફ કાંતિ અમૃતિયાએ શરત મૂકી હતી કે જો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવશે તો જ તે રાજીનામું આપશે. જો ગોપાલ ઇટાલિયા હાજર રહેશે નહી તો, કાંતિ અમૃતિયા રાજીનામું નહી આપે. કાંતિ અમૃતિયાના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાવ્યો હતો.

પ્રજા વટની નહી પણ વિકાસની રાજનિતી ઇચ્છે છેકાંતિ અમૃતિયા વિધાનસભામાં પોતાના સમર્થકો સાથે બેઠા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ હતી. જોકે તે ન આવ્યા. આ દરમિયાન કાંતિ અમૃતિયાનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોની વટની લડાઇમાં આમ જનતાનો મરો થઇ રહ્યો છે. પ્રજા વટની નહી પણ વિકાસની રાજનીતિ ઇચ્છે છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા રાજીનામા વોરના લીધે આમ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકીય લડાઇમાં આમ જનતાના પાયા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. પાણી, રોડ, રસ્તા જેવા પ્રશ્નોની જનતા પીડાઇ રહી છે, પ્રજાના કરોડો રૂપિયાનો ધૂમાડો કરી ચૂંટણી યોજવામાં આવે છે અને હવે રાજીનામા ધરવાની વાતો કરી રહ્યા છે. રાજીનામા આપવાની નહી પણ કામો કરવાની ચેલેન્જ આપો. જેથી પ્રજાનું ભલુ થાય.

શું હતો સમગ્ર મામલો, કેવી રીતે શરૂ થયું ચેલેન્જ વોર

મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી.

ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે... જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. '

પાટીલ અંકલને પૂછ્યા વિના રાજીનામું આપી દો'

આ અંગે ઈટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું કે, ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.

’ ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મોરબીની જનતા જાગૃત થઇ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે. અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી, તો કોઇને તકલીફ ન હતી. પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા,પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઇને આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30-30 વર્ષ સુધી આ જ જનતાએ તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલ કરે તો તમને ગમતું નથી.’

ગોપાલ ઇટાલીયાના પડકારનો જવાબ

ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી એમાં આપના કાર્યકર્તાઓએ મોટો ઉપાડો લઈ લીધો છે. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા અને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું છે.’

Advertisement