આણંદ: ઉમરેઠ તાલુકાના સુંદલપુરા તાબે આવેલા લાલપુરા વિસ્તારમાં મહિસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ખાણ અને ખનીજ વિભાગ ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગઈકાલે અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન રોયલ્ટી વગર ચાલતું ખોદકામ ઝડપી પડતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.
ખાણખનીજ વિભાગની ટીમે કાર્યવાહી કરી બે હિટાચી મશીનો તેમજ ત્રણ નાવડીઓ સહિત અંદાજે એક કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અચાનક થયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં સક્રિય ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખાણખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.