Advertisement

આણંદ મનપા 1 વર્ષ પૂર્ણ: શહેરી સુવિધામાં નિષ્ફળતા, સત્તાધીશોમાં સદબુદ્ધિ આવે તે માટે સદબુદ્ધિ હવન કરાયો

આણંદ મનપા 1 વર્ષ પૂર્ણ: શહેરી સુવિધામાં નિષ્ફળતા, સત્તાધીશોમાં સદબુદ્ધિ આવે તે માટે સદબુદ્ધિ હવન કરાયો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાને મનપાનો દરજ્જો મળ્યે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષના સમયગાળા દરમિયાન શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે સારા રસ્તા, ગટર, પીવાનું પાણી અને સ્વચ્છતા આપવામાં મહાનગરપાલિકા નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર હર્ષિલ દવેએ સદબુદ્ધિ હવન અને ગૌપૂજન કર્યું હતું. આ કાર્યક્રમ મહાનગરપાલિકા કચેરીના મુખ્ય ગેટ બહાર યોજાયો હતો.

સામાજિક કાર્યકર હર્ષિલ દવેએ અગાઉ પણ અનેકવાર મહાનગરપાલિકા કચેરીમાં જઈ પ્રાથમિક સુવિધાઓના અભાવે શહેરીજનોને પડતી હાલાકી અંગે ઉગ્ર રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો તેમનો દાવો છે. મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમણે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ અંગે હર્ષિલ દવેએ જણાવ્યું હતું કે, "પાછલા એક વર્ષમાં મહાનગરપાલિકાએ જે કામો કર્યા નથી, તે કામો આવનારા વર્ષમાં ઝડપથી કરવાની તંત્રમાં સદબુદ્ધિ આવે તે માટે આ સદબુદ્ધિ હવન કરવામાં આવ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આણંદ શહેરના જે વિસ્તારો પ્રાથમિક સુવિધાથી વંચિત છે ત્યાં તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે. ઉપરાંત, ગરીબોના ઘર ન તૂટે અને લોકોની રોજીરોટી છીનવાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

હર્ષિલ દવેએ ગૌમાતાની દયનીય સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આણંદમાં ગૌચરની જમીન ફાળવવામાં ન આવતા ગાયો રસ્તાઓ પર ભટકી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ ગાયોને પાંજરે પૂરવામાં આવે છે, પરંતુ પાંજરાપોળની સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. ગૌમાતાની આ ખરાબ હાલતને કારણે આજે ગૌપૂજન પણ કરવામાં આવ્યું હતું.

Advertisement