આણંદ પાસેના કરમસદ ગામે મોપેડ પર પિચકારી મારવા બાબતે માર મારતા સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ચાર શખસ વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ તાલુકાના કરમસદ ગામે રેલ્વે સ્ટેશન રોડ કર્ણાવતી સોસાયટીમાં 53 વર્ષીય રાજુભાઈ કનુભાઈ સુથાર રહે છે અને મિસ્ત્રીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓની નજીકમાં જ નરસિંહભાઈ ચૌહાણ પણ પોતાના પરિવાર સાથે રહે છે. ગત રવિવારે નરસિંહભાઈ ચૌહાણ તેમના ઘરે હાજર હતા. ત્યારે રાજુભાઈ સુથારને મારા મોપેડ પર પિચકારી કોણે મારી તેમ કહેતા રાજુભાઈએ તેમને મને ખબર નથી કોણે મારી તેમ કહ્યું હતું. જેને પગલે તેમની વચ્ચે મામલો ગરમાયો હતો. અને તેમનું ઉપરાણું લઈને નરસિંહ ચૌહાણ ઉપરાંત જીતુ નરસિંહ ચૌહાણ, પ્રેમ જીતુ ચૌહાણ, પુનિત જીતુ ચૌહાણે ગમે તેમ અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ધારીયાના લાકડાનો હાથો રાજુભાઈને ડાબા હાથના પંજામાં મારી દીધો હતો.
જેને પગલે તેમને ફ્રેકચર થઈ ગયું હતું. આ બનાવને પગલે આસપાસના ટોળાં એકઠાં થઈ ગયા હતા અને તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. આ મામલે વિદ્યાનગર પોલીસે ચારેય વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.