રાજ્ય સરકારના 'લોકાભિમુખ વહીવટ' અને 'પ્રશાસન ગામની તરફ'ના ઉમદા ધ્યેયને સાકાર કરવાના ભાગરૂપે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના પ્રત્યક્ષ વડપણ હેઠળ આણંદ તાલુકાના ગાના ગામ ખાતે ગ્રામ સંવાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકાર પોતે લોકોના દ્વાર સુધી પહોંચે અને નાગરિકોના પ્રશ્નોને પ્રત્યક્ષ રીતે જાણીને તેનો ત્વરિત નિકાલ લાવવાનો છે.
ગાના ગામ ખાતે આયોજિત આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા અને કલેક્ટર સમક્ષ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં ગામના આંતરિક રસ્તાઓની સમસ્યા, સ્ટ્રીટ લાઈટના નમેલા વાયરો ઊંચા કરવા અને લોકોને નડતરરૂપ હોય તેવા થાંભલા વચ્ચેથી હટાવવા તેમજ મહેસૂલી રેકોર્ડને લગતી વિવિધ રજૂઆતો તથા પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવા, દબાણો દૂર કરવા ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. કલેક્ટરએ આ નાના-મોટા તમામ પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી, ત્યાં ઉપસ્થિત રહેલા સંબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામજનોની સમસ્યાઓનું તાત્કાલિક અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સૂચનાઓ આપી હતી.
જિલ્લા પ્રશાસન નાગરિકોની વધુ નજીક જાય તેવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કલેક્ટરએ ગાના મુકામે 'રાત્રિ સભા'નું આયોજન કર્યું હતું. આ આયોજન પાછળનો હેતુ ગામની ભૌગોલિક સ્થિતિ અને ગ્રામીણ જીવનની મુશ્કેલીઓને નજીકથી સમજવાનો છે. કલેક્ટરએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના તમામ વિભાગોના અધિકારીઓ જ્યારે ગામમાં હાજર રહે છે, ત્યારે લોકોની રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવવું સરળ બને છે અને લોકોનો સરકાર પરનો વિશ્વાસ વધુ મજબૂત થાય છે.
ગ્રામ સંવાદના ભાગરૂપે કલેક્ટરએ માત્ર પ્રશ્નો સાંભળ્યા જ નહીં, પરંતુ ગામની પાયાની સુવિધાઓની જાત તપાસ પણ કરી હતી. તેમણે બીજા દિવસે ગામમાં સ્વચ્છતાની સ્થિતિ અને પ્રાથમિક શાળાના વર્ગખંડોને લગતા પ્રશ્નો અંગે રૂબરૂ તપાસ હાથ ધરી હતી. સરકારનો મૂળ ધ્યેય છે કે શિક્ષણ અને સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતો છેવાડાના માનવી સુધી ઉત્તમ રીતે પહોંચે, જેના માટે આણંદ જિલ્લા પ્રશાસન સતત કાર્યશીલ છે.
આ સમયે પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર, નાયબ પોલીસ અધિક્ષક જે એન. પંચાલ, મામલતદાર ગોહિલ, સરપંચ, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.