આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ આણંદ મહાનગર પાલિકાના વહીવટદાર પ્રવીણ ચૌધરી અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદની બોરસદ ચોકડી પરના ઓવરબ્રિજની પાસે તૈયાર કરવામાં આવેલી ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનું મંત્રી રમણભાઈ સોલંકી, લોકસભા સાંસદ મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ કોસ્મસ વેલીના સુંદર આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા બાળકો અને તમામ નાગરિકોનું મન મોહી લે તેવું અત્યંત સુંદર અને આકર્ષક સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે આ સ્થળની પૂર્વ સ્થિતિ અને વર્તમાન બદલાવની સરખામણી કરતા નોંધ્યું હતું કે, મહાનગરપાલિકા બન્યા બાદ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસો તથા સુંદર વિચારધારાને કારણે 'વિકસિત ભારત'ની ઝલક અહીં જોવા મળે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, શહેરીજનો માટે આ એક ઉત્તમ આનંદ-પ્રમોદનું સ્થાન બનશે, જ્યાં લોકો કુદરતી સૌંદર્યની સાથે બહાર બનાવેલા ફૂડ ઝોનમાં મનગમતી વાનગીઓનો પણ આનંદ માણી શકશે.
આ તકે સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ નગરજનોમાં વિકાસની જે અપેક્ષાઓ હતી, તેને પૂર્ણ કરવાની દિશામાં આજે બોરસદ ચોકડી ખાતે 'કોસ્મોસ વેલી'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કોસમોસ વેલી દ્વારા સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓને ફરવા માટે એક સુંદર અને ઉલ્લાસભર્યું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મહાનગરપાલિકાની રચનાને હજુ એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં વડોદરા અને સુરત જેવા મહાનગરોની હરોળમાં આણંદને મૂકવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે 'સરદાર ૧૫૦' અને 'વિકસિત ભારત'ની થીમ સાથે નિર્મિત આ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે નગરજનોને આ સ્થળની મુલાકાત લેવાની સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના આગ્રહને સ્વીકારીને આ જાહેર મિલકતને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી.
આ વેળાએ આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ-આણંદ મહાનગરપાલિકા જ્યારે ગુજરાત રાજ્યની પાંચમી શ્રેષ્ઠ નગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે તે ગૌરવવંતું સ્થાન જાળવી રાખવા માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ અને નવીનતાઓ સરકાર દ્વારા ઉત્તરોત્તર પ્રજાની સેવામાં મૂકવામાં આવી રહી છે. સરદાર પટેલના ૧૫૦માં જન્મજયંતી વર્ષ નિમિત્તે તેમની સ્મૃતિમાં બોરસદ ચોકડી ખાતે મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 'કોસ્મોસ વેલી'નો શુભારંભ કરાવતા તેમણે સમગ્ર જિલ્લાના પ્રજાજનોને તેને નિહાળવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. વધુમાં તેમણે આનંદ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, આ વિસ્તારને હવે 'માં ભારતી ચોક' તરીકે નવું નામાંકન આપવાની દરખાસ્ત કલેક્ટર, કમિશનર, સાંસદ અને પ્રમુખ દ્વારા મંજૂર કરવામાં આવી છે. અહીં માં ભારતીનું વિશાળ કદનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવશે, જેથી દેશના યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય. અંતમાં તેમણે આ વિકાસકાર્યો બદલ મહાનગરપાલિકાના તમામ પ્રજાજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
લોકાર્પણ બાદ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ સ્થળ પર મોટી સંખ્યામાં હાજર રહેલા બાળકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. આ તકે મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ અને ધારાસભ્યએ કોસમોસ વેલીની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રજાતિના મનોહર પુષ્પોનું પ્રદર્શન નિહાળી આયોજનની સરાહના કરી હતી. ઉપરાંત વેલીમાં સ્થાપિત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા, પદાધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.