આણંદમાં ઇકો-ફ્રેન્ડલી ગણપતિ પંડાલ સ્પર્ધા : શ્રેષ્ઠને મળશે ₹5 લાખ ઇનામ
આણંદ જિલ્લામાં 27 ઓગસ્ટથી શરૂ થનારા ગણપતિ મહોત્સવ માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આયોજકોને ઇકોફ્રેન્ડલી ઉજવણી કરવા અપીલ કરી છે. તેમણે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવા અનુરોધ કર્યો છે.
રાજ્ય સરકારે ત્રણ મુખ્ય થીમ નક્કી કરી છે. આ થીમ છે ઓપરેશન સિંદૂર, સ્વદેશી અપનાવો અને દેશભક્તિ. આ થીમ પર આધારિત પંડાલોનું મૂલ્યાંકન રાજ્ય સરકારની પસંદગી સમિતિ કરશે.
પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્સવની ઉજવણી કરનાર શ્રેષ્ઠ પંડાલને ઇનામ આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવનાર પંડાલને રૂ. 5 લાખ, બીજા ક્રમાંકના પંડાલને રૂ. 3 લાખ અને ત્રીજા ક્રમાંકના પંડાલને રૂ. 2 લાખનું ઇનામ મળશે. વધુમાં, અન્ય પાંચ પંડાલને પ્રોત્સાહક ઇનામ તરીકે રૂ. 1-1 લાખ આપવામાં આવશે.
કલેકટરે જિલ્લાના તમામ ગણેશ મંડળોને આ ત્રણ થીમ આધારિત ઉજવણીમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. આ પહેલથી પર્યાવરણની જાળવણી સાથે રાષ્ટ્રભક્તિની ભાવના પણ મજબૂત બનશે.