આણંદ ફૂટ એન્ડ સેફટી વિભાગ દ્વારા ખાસ કરીને તહેવાર પર નમૂના લઇને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. અત્યાલ સુધી 50 એકમોના નમુના લઇને તપાસ માટે મોકલ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં માંડ 12 એકમોના નમૂના રીપોર્ટ આવ્યાં છે. જેમાં ભેળસેળ સહિત માનવ સ્વાસ્થય હાનિકારક હોવાના રીપોર્ટ આવતાં સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા છે. તે પણ ત્રણ થી ચાર માસ બાદ રીપોર્ટ આવ્યાં હતા. ત્યાં સુધી તેનું વેચાણ બજારમાં થયું તેનું શું તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર ફુડ સેફટી ઓફીસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી, આણંદ દ્વારા આણંદ સોજિત્રા રોડ પર આવેલી લા વિલાયતી દુકાનમાંથી લુઝ પનીરના શંકાસ્પદ જાણતાં નમુના લેવામાં આવ્યો હતો. તેવી રીતે આણંદ શહેરની ઠકકર વાડી પાસે આવેલા શ્રી કેટરર્સમાંથી "કેશવ ઘી" ના નમૂનાઓ લઇને તપાસ માટે મોકલી આપ્યાં હતાં. જેનો રીપોર્ટ આવતાં વિલાયતી દુકાનના લુઝ પનીર ભેળસેળ જોવા મળી હતી. તેમજ કેશવ ઘીના નમૂના વનસ્પિત ઘી સહિત અન્ય તેલનું મિશ્ર્રણ મળ્યું હતું. જેથી બંને એકમો રીપોર્ટ માનવ સ્વાસ્થય માટે હાનિકારક હોવાનું અને ખાવા યોગ્ય નહીં હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેને ધ્યાને લઇને બંને એકમો સામે કેસ કરવા માટે નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈને દરખાસ્ત કરાઇ હતી. જેથી બંને એકમોના માલિકને નોટીસ પાઠવીને તેઓને રજૂઆત કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.જેથી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, આણંદની કોર્ટ ધ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ના ભંગ બદલ કલમ-50 અને 51 ની જોવાઈઓ મુજબ લા વિલાયતી, આણંદને રૂ. 40 હજાર , શ્રી કેટરર્સ, ઠકકરવાડી, આણંદને રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો છે.
રિપોર્ટ આવતા સુધી વસ્તુ વેચાઇ અને ખવાઇ પણ ગઇ
છેલ્લા એક વર્ષથી આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જુદા જુદા એકમોતી મસાલા, પનીર, માવા, તેલ વગેરેના નમુના લઇને તપાસ માટે મોકલવામાં આવે છે. જેનો રીપોર્ટ આવતાં ચાર માસ લાગી જાય છે. ત્યાં સુધીમાં હજારો લોકો બિન આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગી ગયા હોય છે. દર વખતે તંત્ર સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને દંડ કરવામાં આવે છે. પરંતુ વેપારીઓ સામે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ફૂડ વિભાગ દ્વારા કયાં એકમમાંથી કેવા પ્રકારના નમુના કેમ લેવા પડયા તે જણાવાતું નથી.જેથી આ પ્રવૃતિ સતત ચાલુ રહેતી હોવાના સુર ઉઠ્યા છે.