અમૂલ ડેરીની ચૂંટણીમાં વધુ 14 સાથે કુલ 39 ઉમેદવારીપત્રો ભરાયા
આણંદ : આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે સોમવારે ૨૩ ફોર્મ ભરાયા બાદ મંગળવારે વધુ ૧૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા. અત્યાસ સુધી ૩૯ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે બુધવારે જાહેર રજા હોવાથી તા. ૨૮મીને ગુરૂવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારીપત્રો ભરવા માટે ભારે ધસારો રહેશે.આણંદ અમૂલ ડેરીની ચૂંટણી ધીમે ધીમે હવે રાજકીય રંગ પકડી રહી છે. અમૂલ ડેરીની ૧૨ અને વ્યક્તિગત સભાસદની ૧ મળી ૧૩ બેઠકો માટે છેલ્લા ત્રણ દિવસમાં ૩૯ જેટલા ઉમેદવારીપત્રો ભરાયા છે. મંગળવારે ફોર્મ ભરવાના છઠ્ઠા દિવસે ૧૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં આણંદ જિલ્લામાં ભરાયેલા ૪ ફોર્મમાંથી આણંદ, ખંભાત અને પેટલાદ બેઠક પર અપક્ષ અને બોરસદમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.
જ્યારે ખેડા જિલ્લામાં ૧૦ જેટલા ઉમેદવારીપત્ર નોંધાયા હતા. જેમાં નડિયાદમાં પાંચ, કપડવંજ અને માતરમાં બે-બે જ્યારે મહેમદાવાદમાં એક ફોર્મ ભરાયું છે. નડિયાદમાં પાંચ પૈકી બે ફોર્મ ભાજપના એક જ ઉમેદવારના અને ત્રણ અપક્ષના છે. કપડવંજમાં અપક્ષના બે જ્યારે માતરમાં વિશ્વાસ પેનલનું એક અને એક અપક્ષનું ફોર્મ ભરાયું છે. મહેમદાવાદમાં અપક્ષના એક ઉમેદવારે દાવેદારી નોંધાવી છે.
તા. ૨૭મી ઓગસ્ટ ગણેશ ચતૂર્થીની જાહેર રજાના કારણે હવે તા. ૨૮મીને ગુરૂવારના રોજ ઉમેદવારીપત્ર ભરવાનો એક જ દિવસ રહેશે. ત્યારે ગુરૂવારના દિવસે ભાજપના બાકી રહેલા ૮ ઉમેદવારો તેમજ વિશ્વાસ પેનલના પણ બાકી રહેલા તમામ ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવા ઉમટી પડશે. ત્યારે કલેક્ટર કચેરીએ ભારે ભીડ જોવા મળશે.
