૧૫ જૂનથી ૪ મહિના માટે અભ્યારણ્યો-ઉદ્યાનો પર પ્રવાસ પ્રતિબંધ
ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી તા. ૧૫ જૂનથી ચાર માસ માટે એટલે કે તા. ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ સુધી રાજ્યના તમામ અભ્યારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.
ચોમાસાનો સમય હોવાથી અભયારણ્ય રહેશે બંધ
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળ હોવાથી તેમાં અવરોધ થવાની શકયતાને ધ્યાનમાં લેતાં, વન વિભાગ દ્વારા ગુજરાતના તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ, વન વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.
ખાનગી કે સરકારી વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ બંધ રહેશે
આગામી તા. ૧૬ ઓક્ટોબર-૨૦૨૫થી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.