હાઉસીંગ સોસાયટીઓમાં આવાસ ટ્રાન્સફર માટે ભરવા પાત્ર ડયુટીમાં 80% સુધીની માફી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય લીધો છે. જેમાં સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર – શેર સેર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી – ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે.
પ્રજાજનો – જન પ્રતિનિધિઓની રજૂઆતો બાદ મુખ્યમંત્રીએ સંવેદનશીલ સકારાત્મક અભિગમ અપનાવી મહત્વનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.
રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમ માં કરેલી જોગવાઈઓ ના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલી ના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયુટી ના 20 ટકા તથા દંડ ની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.
આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.
હાઉસીંગ સોસાયટીમાં નામ ટ્રાન્સફરને લઈ છેલ્લા ઘણા વર્ષોથી પ્રશ્ર્ન પેચીદો બન્યો છે. વર્ષો પેલા માત્ર નજીવી કિંમતે આવાસની ફાળવણી કરવાામં આવી હતી જેમાં હવે નામ ટ્રાન્સફરમાં સ્ટેમ્પ ડયુટીના 100 ટકા રકમ વસુલાત કરવામાં આવતી હતી. આ ઉપરાંત દંડની પણ વસુલાત કરાતી હતી. જેના કારણે લોકો પર ખૂબજ મોટો બોજો પડતો હતો. જેના સંદર્ભે હવે રાજય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સ્ટેમ્પ ડયુટીના 20 ટકા રકમ ભરી નામ ટ્રાન્સફર કરી શકાશે દંડની રકમ પણ તેના આધારે જ નકકી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ સૌથી મોટો પ્રજાહિત કારી નિર્ણય છે.