Advertisement

મણિપુરમાં ફરી લોકશાહી સરકારનો માર્ગ ખુલ્યો, રાષ્ટ્રપતિ શાસન હટાવાયું

મણિપુરમાં ફરી લોકશાહી સરકારનો માર્ગ ખુલ્યો, રાષ્ટ્રપતિ શાસન હટાવાયું

મણિપુરમાં લગભગ એક વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસનનો અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી આ નિર્ણય જાહેર કર્યો છે. નોટિફિકેશન મુજબ આ આદેશ 4 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે.


બંધારણના અનુચ્છેદ 356 (કલમ-2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને 13 ફેબ્રુઆરી 2025થી લાગુ રહેલી રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે.


ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય

દિલ્હીમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની મણિપુર વિધાનસભા પક્ષની બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠક મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે દિલ્હી ભાજપ ખાતે યોજાઈ હતી. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ હવે તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે.


ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાના કારણે છેલ્લા લગભગ એક વર્ષથી રાજ્યમાં મુખ્યમંત્રીનું પદ ખાલી હતું.

યુમનામ ખેમચંદ સિંહની રાજકીય સફર

યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ 2017 અને 2022માં સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને સિંગજામેઈ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જે રાજ્યની રાજધાની વિસ્તારની તેમની મજબૂત રાજકીય પકડ દર્શાવે છે.


તેઓ 2017થી 2022 દરમિયાન મણિપુર વિધાનસભાના અધ્યક્ષ રહ્યા હતા. ત્યારબાદ બીરેન સિંહ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પંચાયતી રાજ, શહેર અને ગ્રામિણ વિકાસ તેમજ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ખાતાઓ સફળતાપૂર્વક સંભાળ્યા હતા.


મણિપુર વિધાનસભામાં પક્ષવાર બેઠકો

ભાજપ: 37

કોંગ્રેસ: 5

નેશનલ પીપલ્સ પાર્ટી: 6

નાગા પીપલ્સ ફ્રન્ટ: 5

કુકી પીપલ્સ એલાયન્સ: 2

જનતા દળ (યુનાઇટેડ): 1

અપક્ષ: 3

કુલ બેઠક: 60

(એક બેઠક ધારાસભ્યના નિધનના કારણે ખાલી છે.)

Advertisement