બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટનાથી 27નાં મોત, શાળા પર પ્લેન કેવી રીતે તૂટી પડ્યું?
બાંગ્લાદેશના વાયુદળનું એફ-7 બીજેઆઈ ટ્રેઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને સોમવારે બપોરે દેશની રાજધાની ઢાકાના દિયાબારી વિસ્તારમાં એક શાળા ઉપર પડ્યું હતું.
માઇલસ્ટોન શાળાના મુખ્ય સલાહકારના વિશેષ સહાયક પ્રોફેસર સઈદુર રહમાનના કહેવા પ્રમાણે, વિમાન અકસ્માતને કારણે 27 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઓછામાં ઓછા 70થી વધુ લોકો ઘાયલ થયા છે.
તમામ ઘાયલોને ઢાકાસ્થિત નૅશનલ બર્ન ઍન્ડ પ્લાસ્ટિક સર્જરી ઇન્સ્ટિટ્યૂટ, કુર્મીટોલા હૉસ્પિટલ, ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, કમ્બાઇન્ડ મિલિટરી હૉસ્પિટલ તથા ઉતરા મૉર્ડન હૉસ્પિટલ સહિતનાં સ્થળોએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
માઇલસ્ટોન કૉલેજના લેક્ચરર રેજાઉલ ઇસ્લામે જણાવ્યું કે છૂટવાના સમયે આ દુર્ઘટના થઈ હતી.
તેમણે કહ્યું, "એક ફાઇટર જેટ સીધું જ બિલ્ડિંગ સાથે ટકરાયું હતું. તેમાં નર્સરી અને જુનિયર વિભાગના અનેક વર્ગો ઝપેટમાં આવી ગયા હતા. શાળાનો ગેટ સંપૂર્ણપણે નાશ પામ્યો તથા તેમાં આગ લાગી ગઈ."