ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે?ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના જાણીતા નેતા રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. એવું કહેવાય છે કે કડદા પ્રથાને લઈને હડદડમાં આંદોલન કરવા મામલે તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમાં બોટાદમાં પથ્થરમારા જેવી ઘટનાઓ પણ બની હતી. જોકે તેમણે રાજીનામું સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધું છે.
શું કહ્યું તેમણે રાજીનામામાં
રાજુ કરપડાએ તેમના રાજીનામામાં કહ્યું કે, "જય કિસાન સાથીઓ... દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું...!
"શું હતો સમગ્ર મામલો?
12 ઓક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ પછી, અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની 16 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરી હતી.
રાજુ કરપડા અને પ્રવીણ રામ જામીન મંજૂર
બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના ગત 29 જાન્યુઆરી, 2026ના રોજ જામીન મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.
કડદાપ્રથાનો વિરોધ
બોટાદ માર્કેટયાર્ડ(APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા 'કડદા' વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન કર્યુ હતું. જેમાં 10 ઓક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો હતો.