Advertisement

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા?

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા?

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે નવનિયુક્ત મંત્રીમંડળમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન આપીને રાજ્યની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે.વડોદરાના અનુભવી નેતા મનીષા વકીલની સાથે જ જામનગર ઉત્તરના રીવાબા જાડેજા અને અમદાવાદના દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સમાવેશ કરીને અનુભવ અને યુવા ઊર્જાનું સંતુલન જાળવવામાં આવ્યું છે. આ ત્રણેય મહિલા નેતાઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રાદેશિક સંતુલન જાળવવામાં અને વિવિધ સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સત્તામાં આવેલા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ ઓછું હતું, જેમાં એકમાત્ર મહિલા મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાનો સમાવેશ થતો હતો. તેમને કેબિનેટ મંત્રી તરીકે સામાજિક ન્યાય અને મહિલા-બાળ વિકાસ જેવા અગત્યના ખાતાઓ સોંપાયા હતા.

મનીષા વકીલ: શિક્ષણ અને રાજકીય અનુભવનું સંમિશ્રણ

સ્થાન: વડોદરા શહેર (અનામત બેઠક)ના ધારાસભ્ય.

શિક્ષણ: એમ.એ. (M.A.), બી.એડ. (B.Ed.) (અંગ્રેજી સાહિત્ય) અને પીએચ.ડી. (Ph.D.) સુધીનો અભ્યાસ. રાજકારણમાં પ્રવેશતા પહેલા બ્રાઇટ ડે સ્કૂલમાં શિક્ષિકા અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી.

રાજકીય કારકિર્દી: તેઓ 2012, 2017 અને 2022માં સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. 2022ની ચૂંટણીમાં 1,30,705 મતોના મોટા માર્જિનથી જીત મેળવી.

મંત્રીપદ: 2021માં પ્રથમ વખત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા બાદ 2025ના નવા મંત્રીમંડળમાં ફરી સ્થાન મેળવ્યું છે.

રીવાબા જાડેજા: યુવા નેતા અને સામાજિક કાર્યકર

સ્થાન: જામનગર ઉત્તરના ધારાસભ્ય.

શિક્ષણ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક (BE). પિતા હરદેવ સિંહ સોલંકી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે.

સામાજિક યોગદાન: મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી 'માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ' નામનું NGO શરૂ કર્યું છે.

રાજકીય પ્રવેશ: વર્ષ 2019માં ભાજપમાં જોડાયા. અગાઉ કરણી સેનાના સભ્ય તરીકે ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બાદમાં કરણી સેનાની મહિલા વિંગના વડા બન્યા હતા.

અંગત જીવન: ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે 2016માં લગ્ન કર્યા છે અને તેમને એક પુત્રી છે.

દર્શના વાઘેલા: એક અનુભવી નેતા

સ્થાન: અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારના ધારાસભ્ય.

શિક્ષણ: બી.કોમ. (B.Com.) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે.

અનુભવ: રાજ્યની રાજનીતિમાં પ્રવેશતા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બે વખત (એક-એક વર્ષના કાર્યકાળ માટે) અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે.

મંત્રીપદ: 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2025ના મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવાથી અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાતની મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધવાનો મજબૂત સંદેશ મળ્યો છે, સાથે જ પ્રાદેશિક અને અનુભવી પ્રતિનિધિત્વનું સંતુલન જળવાયું છે.

Advertisement