કાળઝાળ તાપે લીધો શ્રમિકનો જીવ, તંત્રની સૂચનાઓ માત્ર કાગળ પર
ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને રાહત આપવામાં આવી હતી. કાળઝાળ ગરમીના કારણે શ્રમિકોને બપોરે કામ ન કરાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, રાજ્યમાં આ જાહેરનામાના લીરા ઉડતા જોવા મળ્યા. સાબરકાંઠા જિલ્લામાં ભરબપોરે ધગધગતા તાપમાં કામ કરનાર 25 વર્ષના શ્રમિકનું મોત નિપજ્યું છે.
સાબરકાંઠાના વડાલી ખાતે ભરબપોરે કામ કરાનવારા 25 વર્ષીય મનોજ ડામોર નામના શ્રમિકનું મોત નિપજ્યું છે. શ્રમિક વડાલી ખાતે રેલવે લાઇનનું કામ કરી રહ્યા હતાં. આ દરમિયાન ગરમીમાં કામ કરતાં શ્રમિકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. હાલ, શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે વડાલીના સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સરકારના આદેશને અવગણતા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં સાબરકાંઠામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને સરકારે શ્રમિકોની સલામતી માટે બપોરે કામ બંધ રાખવા માટે આદેશ કર્યો હતો. પરંતુ, કોન્ટ્રાક્ટરો તો જાણે સરકારના નિયમને ઘોળીને પી ગયા હોય તે પ્રકારે પોતાની મનમાની કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં વધતી ગરમીને ધ્યાને લઈ શ્રમિકોને સુરક્ષા માટે રાજ્ય સરકારે બપોરે શ્રમિકો પાસે કામ ન કરાવવા આદેશ કર્યો હતો. જે અંગે જાહેરનામું બહાર પાડી સૂચના પણ આપવામાં આવી હતી. જાહેરનામાંમાં લખવામાં આવ્યું હતું કે, 'ભારતીય હવામાન વિભાગ દ્વારા એપ્રીલથી જૂન દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ ઉદ્યોગો, બાંધકામ સાઇટ્સ, મનરેગા વર્કર્સ, ઇટભઠ્ઠા તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને હીટવેવથી નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલા લેવાં જરૂરી છે. જે ધ્યાને લઈ વિવિધ કામગીરીમાં રોકાયેલ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે 1:00 થી 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ વિવિધ કામગીરી સાથે સંકળાયેલ શ્રમિકોને આગામી એપ્રિલ-2025 થી જૂન-2025 સુધીના સમયગાળા દરમિયાન ખુલ્લામાં સીધી રીતે સૂર્યના તાપની અસર ન પડે તેવી રીતે કામગીરી કરાવવા સૂચના આપવામાં આવે છે.'