કરોડો ખર્ચાયા છતાં ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ
કુપોષણના નામે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે, તેમ છતાંય બાળ મૃત્યુદરને ઓછો કરવામાં સફળતા મળી શકી નથી. કેરળ, કાશ્મીર સહિત અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શિશુ મૃત્યુ દર વધુ રહ્યો છે. એક હજાર બાળક દીઠ પાંચ વર્ષથી ઓછી વયના 23 નવજાત મોતને ભેટી રહ્યાં છે.
કુપોષણમુક્ત ગુજરાત બનાવવા કરોડોનું આંધણ
ગુજરાતમાં શિશુ મૃત્યુ અટકાવવા માટે બાળ સખા યોજના, જનની સુરક્ષા અભિયાન સહિત ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત કુપોષણમુક્ત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર લાખો કરોડોનું આંધણ કરી રહી છે. દર વર્ષે બજેટમાં ખાસ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી રહી છે. સગર્ભા માતાઓ સુધી લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ છતાંય હજારો નવજાત આજે પણ હોસ્પિટલના બિછાને આખરી શ્વાસ લઇ રહ્યાં છે.
| રાજ્ય | શિશુ મૃત્યુ દર |
| ગુજરાત | 23 ટકા |
| કેરળ | 8 ટકા |
| તમિલનાડુ | 13 ટકા |
| હિમાચલ | 17 ટકા |
| કાશ્મીર | 15 ટકા |
| પ.બંગાળ | 18 ટકા |
| આંધ્રપ્રદેશ | 21 ટકા |
| કર્ણાટક | 17 ટકા |
રાજ્યમાં બાળ મૃત્યુ દર 15 ટકા
ગુજરાતમાં આજે પણ બાળ મૃત્યુ દર 15 ટકા રહ્યો છે, જ્યારે દિલ્હીમાં 9 ટકા, કેરળમાં 4 ટકા, પશ્ચિમ બંગાળમાં 13 ટકા, તામિલનાડુમાં 9 ટકા, પંજાબમાં 12 ટકા અને કર્ણાટકમાં શિશુ મૃત્યુદર 11 ટકા રહ્યો છે. અન્ય રાજ્યો શિશુ મૃત્યુદર પર કાબૂ મેળવવામાં સફળ રહ્યાં છે જ્યારે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરતાં ગુજરાતને આ મામલે સફળતા સાંપડી નથી.
અન્ય રાજ્યોની સ્થિતિ
પાંચ વર્ષ કરતાં ઓછી વયના બાળકોના મૃત્યુ દરમાં ગુજરાતનું પ્રદર્શન ખરાબ છે. ગુજરાતમાં દર હજાર બાળકોએ 23 નવજાત મોતને ભેટી રહ્યાં છે જ્યારે કેરળમાં હજાર દીઠ 8, કાશ્મીરમાં 15, ૫.બંગાળમાં 18, કર્ણાટકમાં 17, મહારાષ્ટ્રમાં 16 અને તામિલનાડુમાં 13 શિશુ મૃત્યુ પામે છે.
સરકારી યોજનાઓ નિષ્ફળ?
ગુજરાતમાં સરકારી યોજનાઓ છેવાડા સુધી પહોંચી છે. એટલુ જ નહીં, કુપોષણ નાબુદ કરવા લાખો કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી ખર્ચાઈ રહ્યાં છે પણ સામે છેડે વળતર મળતુ નથી. સરકારી યોજનાઓ જાણે બિનઅસરકારક બની રહી છે. સરકારી યોજનાઓ માત્રને માત્ર મળતિયાઓને લાભ પુરતી બની રહી છે જેથી ધાર્યુ પરિણામ મળતુ નથી.