ઉનાળે વરસાદે વેરવિખેર કર્યાં ખેડૂતના સપના
આણંદ : આણંદના આંકલાવ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. જેમા આંકલાવ તાલુકામાં પાંચ હજાર વીઘામાં બાજરીનો પાકનો સોથ વળી ગયો છે. જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે.
આણંદ જિલ્લામાં તાજેતરમાં સાડા ચાર ઇંચ સુધી કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે બાજરી, ડાંગર, તલ સહિતના પાક પલળી જતા વ્યાપક નુકસાન થયું હતું. ખેતરમાં તૈયાર ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
જિલ્લામાં ૩૭ હજાર હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. જેમાં આંકલાવ તાલુકાના બામણ, ગંભીરા, નવખલા, ચમારા, બીલવાડા, નવાપુરા, નારપુરા, દેવાપુરા, મોટી સંખ્યાન, નાની સંખ્યા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ હજાર વીઘામાં બાજરીનો પાકને વાવાઝોડાના કારણે નાશ પામ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. બાજરીનો પાક આડો પડી ગયો છે જેના કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.મોટી સંખ્યાડના સરપંચ નગીનભાઇ સોલંકીએ જણાવ્યુ કે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો બાજરીના પાક પર નિર્ભર છે અને વરસાદ અને વાવાઝોડાના કારણે બાજરીનો પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને આવક ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી તાકિદે સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકામાં કેળ, શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.