ઈંડા ફેંકનારા યુવકોનો સરઘસ કાઢાયો, જાહેરમાં માફી માગવી પડી
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના બનેલા બનાવ બાદ પોલીસે બે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તેમને માફી પણ મંગાવી હતી. આ ઘટના માંજલપુરના ગણેશ મંડળની શ્રીજીની પ્રતિમાની સ્થાપના વેળાએ બની હતી. મોડી રાત્રે અંદાજે ૨:૩૦ વાગ્યાની આસપાસ પાણીગેટ પાસેના મદાર માર્કેટ નજીક કોઈ અજાણ્યા શખ્સોએ પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટનાને કારણે ગણેશ મંડળોમાં ભારે રોષ ફેલાયો હતો.
આ ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને નવી પ્રતિમાની વ્યવસ્થા પણ કરી હતી. આરોપીઓની ઓળખ સુફિયાન મન્સૂરી અને શાહ નવાઝ ઉર્ફે બડબડ કુરેશી તરીકે થઈ હતી.
પોલીસે આજે આ બે આરોપીઓને તેમના જ વિસ્તારમાં, વાડીના ખાનગાહ મોહલ્લામાં, જાહેરમાં ફેરવ્યા હતા. તેમના હાથ દોરડા વડે બાંધેલા હતા. આ સરઘસ દરમિયાન બંને આરોપીઓએ પોતે કરેલા કૃત્ય બદલ હાથ જોડીને માફી માંગી હતી.
આ ઘટના બાદ ગણેશ મંડળોમાં અને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીઓને શોધી કાઢીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
વર્ષો પછી ગણેશોત્સવમાં કોમી શાંતિ ડહોળાવાનો પ્રયાસ
છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે.વિસર્જન યાત્રામાં પણ શાંતિ જળવાઇ રહે છે. તેમજ કેટલાક સ્થળોએ કોમી એકતાના પણ દ્રશ્યો જોવા મળે છે. તેવા સમયે અચાનક થયેલી આ ઘટનાના કારણે પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ છે. આ ઘટના પછી ઘટના સ્થળે દોડી આવેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક અલગ - અલગ 12 ટીમો બનાવી હતી. ઘટના સ્થળની નજીક ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ, બાતમીદારો મારફતે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતી ઘટના?
મંગળવારે રાતે માત્ર 10 થી 15 લોકો કોઇ જ ઘોંઘાટ કર્યા વગર શાંતિ પૂર્વક મૂર્તિ લઇ જઇ રહ્યા હતા. તે સમયે ઇંડા ફેંકીને અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. શોભાયાત્રા પર જે બિલ્ડિંગો પરથી ઇંડા ફેંકવામાં તે બિલ્ડિંગની લાઇટો ટપોટપ બંધ થઇ ગઇ હતી અને વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો.સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, આ ઘટનામાં 7 થી 8 સગીર પણ સામેલ હતા. તેમજ મોટા બે થી ત્રણ હતા. લોકોની માંગ છે કે, આ રીતે મૂર્તિ પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઇએ. જેથી, ભવિષ્યમાં કોઇ આવી હિંમત કરે નહીં.