આણંદમાં મચ્છરજન્ય રોગો સામે પાલિકાની કાર્યવાહી: રૂ.25,300નો દંડ, 41ને નોટિસ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગો અટકાવવા સઘન ઝુંબેશ હાથ ધરી છે. સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારોમાં મચ્છરના પોરા મળી આવતા રૂ. 25,300નો દંડ વસૂલવામાં આવ્યો છે. ડેન્ગ્યુ-મેલેરિયા નોટિફિકેશન એક્ટ હેઠળ 41 વ્યક્તિઓને નોટિસ પણ અપાઈ છે.
મનપાના મ્યુનિસિપલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રાજેશ પટેલના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે સપ્ટેમ્બરમાં શહેરી અર્બન મેલેરિયા સ્કીમની 42 ટીમો દ્વારા વાહકજન્ય રોગ અટકાયતની કામગીરી કરવામાં આવી હતી.
આ ટીમોએ કુલ 52,122 ઘરોનો સર્વે કર્યો હતો, જેમાં 4,552 સ્થળોએ મેલેરિયાના પોરા મળી આવ્યા હતા. આ ઉપરાંત, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ, દુકાનો સહિત 21 સંસ્થાઓ, 4 હોસ્પિટલો, 6 શૈક્ષણિક સંસ્થાઓ અને 10 બાંધકામ સાઇટ્સ પર પણ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચાલુ વર્ષ દરમિયાન, મનપા વિસ્તારમાં આવેલી સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, દુકાનો, મોલ, થિયેટરો અને બાંધકામ સાઇટ્સ પરથી મચ્છરના પોરા મોટા પ્રમાણમાં મળી આવતા કુલ રૂ. 3.50 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. ડો. રાજેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મનપા વિસ્તારની હોસ્પિટલો ડેન્ગ્યુ અને મેલેરિયા નોટિફિકેશન એક્ટનું પાલન કરે તે અત્યંત જરૂરી છે.