Advertisement

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં 3-4 દિવસનું વેઈટિંગ, સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતાં હોવાની ફરિયાદ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં 3-4 દિવસનું વેઈટિંગ, સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતાં હોવાની ફરિયાદ

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે નામના ધરાવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની અછત અને આઈસીયુમાં વેઈટિંગ રહેતું હોવાથી દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાની બૂમ ઉઠી છે. ઈમરજન્સીમાં સારવાર માટે આવેલા દર્દીઓને આઈસીયુના અભાવે ગંભીર હાલતમાં શહેરના બીજા અર્ધસરકારી કે ખાનગી દવાખાનાઓમાં મોકલવાની ફરજ પડે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સિવિલમાં ઘણી વખત આઈસીયુમાં ત્રણથી ચાર દિવસ સુધીનું વેઈટિંગ હોય છે.

એશિયાના સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતા હોવાની ફરિયાદ

ભારતના ત્રણ રાજ્યો અને આખા ગુજરાતના દર્દીઓનો ટ્રાફિક ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં આજે પણ વેઈટિંગ ચાલી રહ્યું છે! કોરોના વખતે ખરાબ સ્થિતિ હતી, તે સમજી શકાય. પરંતુ અત્યારે સામાન્ય દિવસોમાં પણ દર્દીઓએ આઈસીયુ માટે રાહ જોવી પડે છે.

બહેરામપુરાના સામાજિક કાર્યકરે એક દાખલો ટાંકતા જણાવ્યું છે કે, 'અકસ્માતે ઈજાગ્રસ્ત બનેલા એક દર્દીને તાજેતરમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, સિટીસ્કેન કર્યા બાદ દર્દીની હાલત ગંભીર જણાતા હાજર સ્ટાફે જણાવ્યું હતું કે, અહીં વેન્ટિલેટર નથી દર્દીને આઈસીયુમાં લઈ જવા પડશે. જેથી દર્દીના સંબંધીએ આઈસીયુમાં તપાસ કરતા, ત્યાં વેઈટિંગ હોવાનો જવાબ અપાયો હતો. આખરે નાછૂટકે ઈજાગ્રસ્ત દર્દીને એસવીપી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. આમ એશિયાની સૌથી હોસ્પિટલમાં આઈસીયુમાં વેઈટિંગ ચાલતું હોય તે બાબત ખૂબ જ ગંભીર છે. જેને ધ્યાને લઈને સરકારે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.'

Advertisement